Wednesday, November 11, 2020

 

જુનાગઢ પાસે શું નથી ?

આજનો મેઈલ = કૌશિક મહેતા

જુનાગઢ એવું નગર છે જ્યાં એકવાર ફર્યા હોય તો એને ભુલાવવું મુશ્કેલ છે. કેટકેટલું છે જુનાગઢમાં. આભ સાથે વાતું કરતો ગીરનાર છે અને એની ઓથે વિકસેલું નાગર છે જુનાગઢ. જુનાગઢને બીજા કશાની જરૂર નથી , ગીરનાર પુરતો છે. અને ગીર્નાની તળેટી. ત્યાં કેવા મુઠી ઊંચેરા માનવીઓના બેસણા છે. અહી મંદિરો છે. આ પર્વતનો નેહ એકવાર લાગે પછી છૂટે એ શક્ય જ નથી.

અને આ ગીરનાર સાથે સૌના નાતા જુદા જુદા છે. કારણ કે , ચરણ ચલ ગીરનાર , પરણ મન ગીરનાર / પાષાણ નથી ગીરનાર , તોરણ નભે ગીરનાર  ....અહી નરસિંહ મહેતો છે અને એના પર કામ કરનાર જવાહર બક્ષીનું સંશોધન છે. અહી મનોજ ખંઢેરિયા અને શ્યામ સાધુની કવિતા છે. શ્યામ સાધુ એ લખ્યું છે

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !

 

પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !

 

અગધ-પગધના રસ્તે સાધુચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !

શ્યામ સાધુ

તો મનોજ ખંઢેરીયા લખે છે,

પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

લખ્યું ભલે મનોજ ખંઢેરિયાએ પણ તળેટીમાં પસાર થાવ તો તમને પણ એવું થાય કે, તળેટી જતાં એવું લાગ્યા કરે છે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે....જુનાગઢ વિષે શું લખવું અને શું ના લખવું? જુનાગઢ જેને ના ગમે એની ગણતરી શેમાં કરવી? ઉપરકોટથી માંડી રોપ વે સુધી ...ભૂતકાળથી માંડી વર્તમાન સુધી ...જુનાગઢ ઘણું કહે છે. સાંભળવા કાન જોઈએ.

અહી ઈતિહાસ ઉભો છે ગિરનારની ઓથે , પ્રકૃતિએ આ નગરને માલામાલ કરી દીધું છે. અહી કેટલાય અલખના ઓટલા છે. અને પેટની આગને ઠારતા અન્નક્ષેત્રો છે. અહી કરતાલ કાન દઈને સાંભળવી પડે ને વનરાજની ત્રાડ કાનમાં ધાક પાડે છે. પણ સારી ચીજ કોણ જાણે આપણને લાંબો સમય ગમતી નથી. લીલી પરકમ્મા બાદ જે કચરો અહી થાય છે એનાથી સ્વચ્છતા અભિયાને શરમાવું પડે છે. પણ માણસ શરમાવાનું નામ લેતો નથી. પ્રકૃતિ કેટલું આપે છે આપણને આપણે શું આપીએ છીએ ? કચરો?

લાજો , લાજો ...જુનાગઢ જાવ ત્યારે મોજ કરો એ બરાબર પણ કચરો કરવાનો કોઈ પરવાનો કોઈએ આપ્યો નથી. જુનાગઢ જવું અને એની પરકમ્મા તપસ્યાથી ઓછું કઈ નથી. જુનાગઢે હવે હોંકારો અને પડકારો કરવો રહ્યો કે, ખબરદાર ...આ અમુલ્ય વિરાસતને બગાડી છે તો ....

આજનો એસ એમ એસ

અગર મુશ્કરાહટ કે લિયે ઈશ્વર કો શુક્રિયા નહિ કર શકતે

તો આંખો મેં આયે આંસુઓ કે લિયે શિકાયત ક કોઈ હક નહિ